મંગળવાર, 25 જાન્યુઆરી, 2022

હામપર વાવ ની માં મેલડી નો ઇતિહાસ ,hampar ni maa meldi no itihas


 હામપર  વાવ ની માં મેલડી નો ઇતિહાસ 

,hampar ni maa meldi no itihas

 નમસ્કાર મિત્રો ,

આજે આપણે ઝાલાવાડ પંથક ના હામપર ગામ ની વાવ માં બેઠેલી માં મેલડી ના ઇતિહાસ વિષે જાણીશું. હામપર ગામ સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા માં આવેલું છે.

આશરે 800 થી 1200વર્ષ પહેલાની આ વાત છે ,રજવાડા ના એ સમય માં ધ્રાંગધ્રા માં ઠાકોર અમરસિંહ રાણા નું રાજ ચાલતું હતું. એકવખત રાણા ના રાજમાંથી કાશીએ જાત્રા કરવા માટે સંગ નીકળે છે.  સંગ માં સીતાપુર ગામનો એક પ્રાણશંકર નામનો ગાયક કલાકાર હતો. જે એક બ્રાહ્મણ હતો. 

હવે એવું બને છે કે સંગ ચાલતો ચાલતો કાશી નગરીમાં પહોંચે છે. ત્યાં ઉતારા અપાય છે અને ભજન ની રમઝટ બોલાય છે. ત્યાં કાશીની બજાર માં એક બ્રાહ્મણ નું ઘર હતું, એને એક 16 વર્ષની ફુલકુંવર નામની રૂપરૂપના અંબાર જેવી દીકરી હતી જે આ સંગ જોવા આવે છે. આ દીકરી જાણે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા નીચે ધરતી પર આવી હોય એવી લાગે છે. ફુલકુંવર બ્રાહ્મણ ને જોતાજ મનથી વરી ચુકે છે. અને મનમાં નક્કી કરે છે કે પરણું તો આ જુવાન સાથેજ પરણું નહીતો આખી જિંદગી કુંવારી જ રહીશ. આમ મનથી નક્કી કરી ને માબાપને વાત કરવાનું વિચારે છે. માં બાપે હા કર્યા પછી તેમણે પ્રાણશંકર ને વાત કરી ,પરંતુ પ્રાણશંકરે મનમાં તો લગ્ન કરવાની ના પાડી અને વિચાર કર્યો કે અહીંથી હવે નીકળી જવાય, અહીંયા રોકાવાય નહિ ,નહીંતર આ લોકો પરાણે લગ્ન કરાવી દેશે. પ્રાણશંકરે કહ્યું હું વિચારી ને જવાબ આપીશ .3-4 દિવસ પછી સંગ પાછો આવવા ધ્રાંગધ્રા તરફ વળ્યો. પ્રાણશંકર ફુલકુંવર ને કશું કહ્યા વગર સંગની સાથે સાથે પાછો આવી રહ્યો છે. 

દીકરીને ખબર પડતા મનમાં થયું કે આ ભવ માં તો મને એ મુરતિયો નહિ મળે. જેને મેં મનથી વર માન્યો હતો એતો મને મૂકીને ચાલ્યો ગયો.એ ધ્રાંગધ્રા પોહ્ચે તે પહેલા જ હું આત્મહત્યા  કરીને મારા પ્રાણ ત્યાગ કરી દઈશ અને એની પહેલાજ એના ગામ ના પહોચુ ને તો હું ફુલકુવર નહિ. તે માતાજી રોજ ધૂપદીપ કરી ને ભક્તિ કરતી હતી એટલે તે માતાજી પાસે જઈને રૃદન કરે છે .પછી તેણે ઘરની મેડી પર જઈને આજુબાજુ નજર કરીને માતાજી ને કહ્યું કે હવે હું અહીંથી પડતું મુકું  છું, મને વહેલી ધ્રાંગધ્રા ભેગી કરજે. એમ વિચારીને  ઘરની મેડીએથી  સોળે શણગાર સજીને નીચે પડતું મૂક્યું, અને નીચે  પડતાજ તેના પ્રાણ ઉડી ગયા. 

આ બાજુ સંગ ધ્રાંગધ્રા ના પાદર માં પહોંચે તે પહેલા તો આ દીકરીના આત્માએ પ્રાણશંકર ના ખોળિયા માં પ્રવેશ કરી લીધો. શરીરમાં પ્રવેશતાજ તેના શરીરમાં માતા નો વાસો થયો.

પ્રાણશંકર દિવસે ને દિવસે એવો સુકાવા લાગ્યો કે જાણે તેને કોઈ રોગ થયો હોય. વૈદો અને હકીમો ને બોલાવે છે પણ કોઈ દવા કામ કરતી નથી. હવે એકવાર ધ્રાંગધ્રા નો દરબાર માતાજી ના કોઈ જાણકાર જોષીડા ને બોલાવે છે. જોષીડાએ જોઈને કહ્યું કે "હે બાપુ આના શરીર માં કોઈ દૈવી શક્તિ કે આત્મા નો વાસ છે. મારાથી આ દૈવી શક્તિ કે આત્મા વળશે નહિ.

પણ ઝાંઝરકા ની બાજુમાં મેઘવાડ સમાજ માં સંત સવૈયાનાથ કરીને જોગી છે. એને બોલવો તોજ આનું નિવારણ આવે. જોગી ને તેડાં મોકલે છે. અને સંત ધ્રાંગધ્રા માં આવીને બ્રાહ્મણ ને જ્યાં સુવડાવ્યો હતો ત્યાં આવે છે. આવીને બ્રાહ્મણના માથે હાથ ફેરવીને કહે છે કે "જાગ જાગ ,તને ઝાંઝરકા નો જોગી જગાડે છે, " ત્યાંતો બ્રાહ્મણ ધીમે ધીમે આંખ ઉઘાડી મરક મરક હસવા લાગ્યો પણ કઈ બોલે નહિ. પછી જોગી એને ખીર જમાડે છે અને ગુગળ નો ધૂપ કરે છે. ત્યાંતો બ્રાહ્મણ હોંકારો કરે છે, જોગી પૂછે છે કે તું કોણ છે, તો બ્રાહ્મણ ના કોઠે થી અવાજ આવ્યો કે "હું કાશીના બ્રાહ્મણ ની દીકરી ફુલકુંવર છું. જોગી બોલ્યો કે "બ્રાહ્મણ ની દીકરી થઈને આવું કરાય?. શું જોઈએ છે તારે. હે દીકરી હું એક બાપ થઈને તને પૂછું છું કે તું કેમ આવી છે?"

એટલું સાંભળી દીકરી દળ દળ આંસુડે રડે છે અને કહે છે કે "સાંભળ બાપ , હું કુંવારી હતી, અને રોજ માતાજીની ભક્તિ પૂજા કરતી હતી , આ સંગ જયારે કાશીએ આવ્યો અને આ પુરુષ પર મારી નજર પડી ,અને મનથી મેં નક્કી કરી લીધું કે એની સાથે જ લગ્ન કરવા છે.અને અમે આને વાત કરી. અને મને તે કહ્યા વગર જતો રહ્યો છે. મને વાયદો આપીને અહીંયા આવતો રહ્યો છે એટલે મેં ઘરની મેડીએથી પડતું મૂકી આત્મહત્યા કરી લીધી. હું જીવતા તો એને ના પામી શકી એટલે મર્યા પછી એના ખોળિયા માં વસવાટ કર્યો છે. એ મારો નહિ તો બીજા કોઈનો નહિ થવા દઉં. જોગી તમે અહીંથી ચાલ્યા જાઓ, મારા રસ્તા માં તમે આવશો નહિ"

દીકરી સાંભળ ,આ રીતે તો આ બ્રાહ્મણ પણ મરી જશે, એને તું છોડી દે , આખું જગત તને યાદ કરે એવું હું તને નામ આપીશ ,તને અખંડ દીવો આપીશ. તને નવનાથ ની દુહાઈ છે .હું એક બાપ તરીકે તને અહીંથી લઈ જવા આવ્યો છું."

દીકરી બોલી "ભલે બાપુ તમે જેમ કહેશો તેમ હું કરીશ."

જોગીએ એક સીસો મંગાવ્યો અને કહ્યું આમા તું પવન પૂતળી બની ઉતરી જા, પછી હું સીસા નું ઢાંકણું બંધ કરી દઈશ. દીકરી હવે કબુલે છે અને બ્રાહ્મણ નું શરીર છોડીને સળસળાટ સીસમાં ઉતરી ગઈ.પછી જોગીએ તેને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જગત માં તારા નામનો ઝંડો રોપાશે. પછી બ્રાહ્મણ બેઠો થઇ જાય છે ,

ધ્રાંગધ્રા ના બાપુએ જોગીને પહેરામણી આપી અને જોગી ત્યાંથી સીસો લઈ ને ચાલતા થાય છે. ચાલતા ચાલતા હાલનું જે હામપર ગામ છે. ત્યાં વાવ પાસે પહોંચે છે .ત્યાંતો જોળી માંથી દીકરી બોલી કે "બાપુ આ વાવ નો ટોડો અને આ વગડો મને ખુબજ ગમે છે ,બાપુ મને અહીંયાજ બેસાડી દ્યોને, બાપુ મારે અહીંયાજ વાવના ટોડે બેસવું છે. જોગી બોલ્યો કે " દીકરી હું બેસાડું તો ખરો પણ તારુ કંઈક પ્રમાણ તો બતાવ ." ત્યાંતો જોગી ની જોળી માં જે સીસો રાખ્યો  હતો એ જોળી સવા મણ વજન જેટલી ભારે થઇ ગઈ ,દીકરી ખડખડ દાંત કાઢે છે. અચાનક જોળી નું એટલું વજન થઇ ગયું એટલે જોગી બોલ્યો કે ખમ્મા ખમ્મા દીકરી હવે મને તારામાં ભરોસો છે અને જગત માં તું સારા કામ કરવા બેસીશ અને તું કોઈનું ખરાબ કરીશ નહિ. 

બાપુ તે શીશો લઇ ધીરે ધીરે તે વાવ પાસે આવે છે. અને વાવના ટોડે કંકુથી ત્રિશુલ દોરીને શ્રીફળ ને માથે ચૂંદડી ઓઢાડીને જેમ એક બાપ દીકરી ને માથે હાથ ફેરવે તેમ શ્રીફળ અને ચૂંદડી પર હાથ ફેરવી એટલું કહ્યું કે"આજથી હું તને હામપર ના ટોળાની મેલડી કરીને બેસાડું છું. હવે બ્રાહ્મણની દીકરી મટી મેલડી થઇ જા. આમ અહીંયા હામપર ના ટોડાવાળી મેલડી તરીકે માં ના મંડાણ થયા. અને જ્યાં ધૂપ દીપ કરીને ડાકલા વગાડ્યા ત્યાંતો માં મેલડી ખડખડાટ હસવા લાગ્યા અને કહ્યું કે "હે જોગી તમે મને મેલડી તરીકે અહીંયા બેસાડી છે અને જગતમાં હું સૌના હું કામ કરીશ. હે જોગી જાઓ હું તમને વેણ આપું છુ કે સવૈયા ના સ્થાનમાં હું કેડિયા ના કહ ની માતા કહેવાઇશ અને જયારે પણ તમે મને યાદ કરશો ત્યારે હું તરતજ હાજર થઇ જઈશ અને દુખીયા ના દુઃખ દૂર કરીશ. પછી સવૈયા જોગી ત્યાંથી ચાલી નીકળ્યા અને માં મેલડી નું ત્યાં મંડાણ થયું.

એ પછી તો અનેક વર્ષો ના વર્ષો વીત્યો ,અનેક રજવાડાઓ બદલાયા હશે.. સરકારો બદલાઈ હશે. પણ માં મેલડી નું સ્થાન ત્યાંને ત્યાંજ  રહ્યું. હાલમાં શંકરદાદા આ મેલડી માં ની સેવા પૂજા કરી રહ્યા છે અને કહેવાય છે કે કોઈપણ ગામની વહુ દીકરીઓ ની વ્હારે માં મેલડી ઝટ આવે છે , અંદાજે વહુ દીકરીઓ ને 15000 થી વધારે દીકરા તો આ શંકરદાદા એ આપેલી બાધા થી જ થયા છે. દર રવિવાર અને મંગળવારે અહીંયા પ્રસાદ માં ભોજન અપાય છે અને ઘણાય ભક્તો નું મહેરામણ અહીંયા માં મેલડી ના દર્શન કરવા આવે છે. વાંઝિયા ને પારે પારણા બાંધતી આ માં મેલડી જગવિખ્યાત છે . તો મિત્રો આ હતો હામપર ના ટોડા ની માં મેલડી નો ઇતિહાસ.  

જાય માં મેલડી .......................


 


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...