આઈ શ્રી નાગબાઈ માં ની પ્રગટયકથા અને ઇતિહાસ
નમસ્કાર મિત્રો, આજે આપણે આઈ શ્રી નાગબાઇમાં ની પ્રગટયકથા ની વાત કરીશું ,જૂનાગઢના ગિરનારની ગોદમાં આવેલા મોણીયા ગામમાં આઈ શ્રી નાગબાઇમાનું મંદિર આવેલું છે, જ્યાં માં નાગબાઇએ અનેક પરગટ પરચા પૂરેલા છે.
માં નાગબાઇના પ્રાગટ્યની વાત કરીએ તો આજથી આશરે 600 વર્ષ પહેલાનો આ ઈતિહાસ છે, ગિરનારની ગોદમાં એક ધનફુલીયા નામના ગામમાં હરજોગ ચારણ તેની પત્ની સાથે નેસડામાં રહેતો હતો, બંને જણ પવિત્ર જીવન જીવનારા સુખીસંપન્ન હતા. પરંતુ એમને શેર માટીની ખોટ હતી, એક વખત એવું બન્યું કે અઘોરી સાધુઓની એક જમાત બલૂચિસ્તાનથી ચાલતી ચાલતી ગરવા ગઢ ગિરનારની પદયાત્રા કરવા માટે જાય છે, તેઓ બલૂચિસ્તાનની હિંગોળ નદી થી આવેલા, અને તેઓ માતા હિંગળાજ ના પરમ ઉપાસક હતા, સાધુઓની જમાતમાં એક સાધુ ઝાઝી ભાંગ પી ગયા હોવાથી એને ખુબ માથું દુખે છે. એવામાં ચાલતા ચાલતા તે આ ચારણના નેસડે આવે છે. સાધુએ ચારણની પત્ની પાસે પીવા દહીં માગ્યું, ચારણની પત્નીએ એક તાંસળી ભરીને સાકરવાળું દહીં આપ્યું, અને સાધુને પેટમાં ટાઢક થતા માથાનો દુખાવો દૂર થયો એટલે એમણે કહયું કે દીકરી માંગ તારે શું જોઈએ છે, દીકરી કહે છે કે મારે કઈ નથી જોઈતું ,માતાજીની દયાથી અમારે ઘણાય માલઢોર છે, પરંતુ અમારે ઘેર શેર માટીની ખોટ છે, સાધુ માં હિંગળાજનાં પરમ ઉપાસક હતા એટલે તેઓએ માતાજીને અરજ કરી, અને માતાજીએ કહ્યું કે કહીદે દીકરીને કે હું હિંગળાજ એના ઘેર નાગબાઇના રૂપે અવતરીશ, ત્યારપછી સાધુ ચારણ ની પત્નીને કહે છે કે હે દીકરી તારે ત્યાં આજથી અગિયાર મહિને એક દીકરી જન્મ લેશે તેનું નામ નાગબાઈ રાખજે ,કેમકે આ અઘોરી નાગા બાવા એ તને વચન આપ્યું છે,
આમ સમય જતા હરજોગ ચારણ ને ઘેર માં એ અવતાર લીધો અને એના આંગણામાં પગલીયો પાડીને એનું વાંઝિયા મેણું દૂર કર્યું. હવે માંને સૌરાષ્ટ્ર ની ધારા પર પરગટ પરચા પૂરીને એમનો મહિમા વધારવો હશે, એટલે ઉંમર થતા આઈ નાગબાઇના લગ્ન જૂનાગઢના મોણીયા ગામમાં કરે છે, અષ્ટ સીધી નવ નિધિ માં ના ચરણોમાં રમે છે. આઈ નાગબાઈ માં મોણીયામાં પરગટ પરચાઓ પુરે છે,
એક વખત એવું બન્યું કે કુતુબુદ્દીન ઘોરી મોણીયા માં ગોવાળો સાથે મારઝૂડ કરીને ગાય-ભેંસોનું ખાડુ વાળીને લઇ જાય છે. ગોવાળિયા આઈ નાગબાઈને આવીને કહે છે ,અને નાગબાઈ એ કહ્યું કે ગોવાળો ચિંતા ના કરશો, લો આ ભેળિયો ખખેરું, કુત્તુબુદ્દીન જ્યાં સૂતો હશે ને ત્યાં તે હેઠો પડશે, આમ આઈ નાગબાઇએ ભેળિયો ખનખેર્યો ત્યાંતો રાજમાં કુતુબુદીન જ્યાં સૂતો હતો ત્યાંથી હેઠો પડ્યો અને હાથે પગે બેડીયું આપોઆપ લાગી ગઈ, રાજના લોકોને આંખે અંધારા આવવા લાગ્યા , રાજના લોકો સમજી ગાયકે માં ની માફી મંગાવી જોઈએ, આપણે દેવીનો અપરાધ કર્યો છે, અને કુતુબુદી ગાય-ભેંસોનું ખાડુ પાછું મોણીયા લાવ્યો અને આઈ નાગબાઇની માફી માંગી,
કહેવાય છે કે આઈ નાગબાઈ સુરજદેવના પરમ ઉપાસક હતા. રોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરીને પૂજા કરતા હતા, એક દિવસ સૂરજદેવે પ્રસન્ન થઈને એમને એક સુરજપખો અસ્વ વરદાન રૂપે આપ્યો,
તે સમયમાં જૂનાગઢમાં રા'માંડલિક રાજ કરતો હતો જેને રા'ગંગાજળીયો કહેતા કેમકે તે રોજ સવારે કાવડ દ્વારા લાવેલા તાજા ગંગાજળથી સ્નાન કરતો અને કહેવાય છે કે તેના સ્નાન કરેલા ગંગાજળથી વીઘા વાજા નામના ચારણના કોઢ મટી ગયેલા. આવો પવિત્ર ગંગાજળીયો ગરવા ગિરનાર પર રાજ કરતો હતો, આઈ નાગબાઇમાં ના દીકરાનો દીકરો નાગાર્જન રા'મંડલીકનો પાક્કો ભાઈબંધ હતો. નાગાર્જન એને મળવા આવે નહિ ત્યાં સુધી રા'માંડલિકને કહુંબાનો નશો થાય નહિ.
બીજી બાજુ જૂનાગઢમાં નરસિંહ મહેતા ભગવાન કૃષ્ણ ની ભક્તિમાં તરબોળ હતા, એવામાં રા'મંડલિકને કોઈએ કહ્યું કે નરસિંહ મહેતા ઢોંગ ધતિંગ કરે છે અને કહે છે કે મને ભગવાન આપોઆપ મળ્યા એવો દાવો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરે છે. અને પછી કહેવાય છે કે રા'માંડલિક નરસિંહ મહેતાને જેલમાં પુરી દે છે અને ઇતિહાસના કહેવા પ્રમાણે ભગવાન કૃષ્ણ નરસિંહ મહેતાની લાજ રાખે છે અને ખુદ ભગવાન કૃષ્ણએ આવીને નરસિંહ મહેતાને હાથોહાથ હાર પહેરાવેલો, રા'માંડલિક નરસિંહ મહેતાના પગમાં પડે છે, નરસિંહ મહેતા કહે છે કે રાજા હું તમને શ્રાપ નથી આપતો પણ તમારા કારણે મારા હરિને વૈકુંઠ માંથી ધક્કો ખાવો પડ્યો એટલે મારો હરિ એનો બદલો જરૂર લેશે.
આમ કરતા કરતા એક વાર રાજના અમુક માણસો રાજાને નાગાર્જન વિરુદ્ધ કાન ભંભેરે છે, એટલે રા'માંડલિક નાગાર્જન પાસે સુરજપખો અસ્વ માંગે છે. નાગાર્જન અસ્વ આપવાની ના પાડે છે, રા'મંડલિકને આ વાતનું ખોટું લાગી જાય છે ને બંનેની ભાઈબંધી વચ્ચે તિરાડ પડે છે, નાગાર્જન વળતો ઘરે જતો હતો ત્યારે રા'મનડલીકનો પિતરાય ભાઈ રા'વિકો રસ્તામાં મળે છે. વ્યવહારમાં કાંઈક વાંધો પડેલો એટલે રા.વિકો રામંડલીકના સામે બહારવટિયે નીકળેલો. રા'વિકાએ અસ્વ ના વખાણ કર્યા એટલે નાગાર્જને અસ્વ રા'વિકાને આપી દીધો, આ બાજુ રા'મંડલિકને જાણ થતા તે સિપાઈને મોકલીને નાગબાઇને અને નાગાર્જનને નેસડો ખાલી કરવાનો હુકમ કરે છે. આઈ નાગબાઇ સિપાઈને કહે છે કે ગરવા ગિરનાગના ઘણી રા'ગંગાજળિયાનો જીવ એટલો બધો ટૂંકો થઇ ગયો?,
રા'માંડલિક ને જાણ થતા તે પોતે મોણીયા ગામ જાય છે, રા'માંડલિક પહેલા જયારે જયારે મોણીયા આવતા ત્યારે સૌપ્રથમ આઈ નાગબાઈને મળવા જતા, એટલે આઈને લાગ્યું કે રા' અહીંયા આવશે,
પણ બન્યું એવું કે રા'માંડલિકે ગામના ઝાંપેથીજ હુકમ કરી દીધો કે મારુ મોણીયા કેમ ખાલી કર્યું નથી, અમારા ઘોડાને દૂધ પાવા છે, નેહડા માંથી દૂધ મોકલો, સિપાઈઓ કહેવા આવ્યા એટલે આઈ નાગબાઈ બોલ્યા મંડલીકના ઘોડાને થોડા ઘણા દુધે નહિ થાય, ગામના પાદરમાં અવેડાની પાસે વડલો છે. એ વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટશે, અને તમે જશો ત્યાં સુધી અવેડો દૂધથી ભરાઈ જશે,
આમ સિપાઈઓ જઈને જુએ છે તો વડલાની વડવાઈઓમાંથી દૂધની શેરો ફૂટી, આખો વડલો દુધે વરસવા લાગ્યો અને આખો અવેડો દૂધથી છલોછલ ભરાઈ ગયો, સિપાઈઓ આવું જોઈને સમજી ગયા કે આ કોઈ દૈવી શક્તિનો ચમત્કાર છે, પણ રા'મંડલોક કઈ સમજતો નથી.
બીજી બાજુ આઈ નાગબાઈ નેહડામાં વાત કરે છે કે ચારણોના નેહડામાં રાજપૂત આવે તો એને વધાવવો પડે, એનું સામૈયું કરવું પડે, આમ કહી સૌ બહેનો દીકરીઓ રા'માંડલિકને વધાવવા પાદરે આવે છે, રા'મંડલિકને તિલક કરવા જાય છે ત્યાંતો તે મોઢું ફેરવી દે છે, અને ત્યારે આઈ નાગબાઈ બોલ્યા કે દીકરી આજે રા,માંડલિક નથી ફર્યો પણ એનો દી ફરી ગયો છે, પછી તો સમય જતા રા'માંડલિક ની દશા ફરી અને તે ગાંડો થઇ ગયો, ગરવા ગિરનારનો ઘણી રા'ગંગાજળિયો તે સમયે જૂનાગઢની બજારમાં ઉકરડા વીંખવા લાગ્યો, પોતાની દિન દશાનું કઈ ભાન રહેતું નથી અને મોહમ્મદ બેગડાએ જૂનાગઢ પર ચડાઈ કરીને એને પરાજિત કરી દીધો,
રા'મંડલિકને શ્રાપ આપીને આઈ નાગબાઈને બહુ દુઃખ થયું એટલે તે પ્રાયશ્ચિત કરવા માટે હેમાળો ગાળવા નીકળી પડે છે, સાગા સબંધી અને ઉપાસકો બધાય આઈને વળાવવા આવ્યા, એક હરિજન અને એની પત્ની આઈ ની સાથે ગયા, પછી તો કહેવાય છે કે આઈ નાગબાઇએ પોતાના શરીરને હિમગિરિના બરફમાં સમાવી દીધું, આજે તમે મોણીયા ગામે જાઓ તો ત્યાં આઈ નાગબાઇનું મંદિર છે, હરિજન અને તેની પત્ની ની ખામ્ભલિ આઈ ના ખોળામાં છે. મોણીયા વાળી માં આઈ નાગબાઈ સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો