મંગળવાર, 7 માર્ચ, 2023

ગુંજાર ગામના ભોરૂડા ભરવાડ ની માં મેલડી ની વાર્તા

 ગુંજાર ગામના ભોરૂડા ભરવાડ ની માં મેલડી ની વાર્તા  

નમસ્કાર મિત્રો, આજે આપણે ગૂંજાર ગામની માં મેલડી ના ઇતિહાસ ની વાત કરીશું, ધંધુકા -રાણપુર હાઈવે પર ધંધુકાથી સાતેક km દૂર ગુંજાર ગામ આવેલું છે,

થોડાક વર્ષો પહેલાની આ વાત છે, ગુંજાર ગામના ટીંબે ભરવાડો ની વસ્તી રહે છે, એમાં મોટાભાઈ ભરવાડના કુટુંબ માં રાઘા ભગત નામના ભરવાડ રહેતા હતા ,જેઓ પાંચેક ગાયો રાખતા હતા , એમાંથી બે ગયો વિયાવાની હતી, 

રાઘા ભગત રોજ સવારે ગાયોને વગડા માં ચારવા લઇ જાય અને સાંજ પડે એટલે પાછા આવીને ગાયોને વાડા માં પુરી દેતા, 

પરંતુ એક વાર એવું બને છે કે જે બે ગયો વિયાવાની હતી તે પાછી આવતી દેખાતી નથી, તે આમ તેમ શોધવા નીકળે છે, ફરતા ફરતા એક વાડા માં જોયું તો ત્યાં ધૂળના ધડિમલા પાસે આ બે ગયો બેઠેલી જોઈ , એ ધૂળ ના ધડિમલાની અંદર માં મેલડી બેઠી હતી, રાઘા ભગતે નજીક જઈને જોયું તો ગાયોના પગમાં એક સળી ગયેલુ નારિયેળ પડ્યું હતું, જે માં મેલડીની દેરી માંથી કોઈએ બહાર કાઢી દીધેલું, 

પછી રાઘા ભગતે તે નારિયેળ હાથમાં લઈને પોતાની પાઘડીથી માતાજીનની બેઠક ને સાફ કરી અને બે હાથે નારિયેળ મુકતા કહ્યું  કે આ 60 ઘરનો ટીંબો છે, પણ તારું કોઈ નથી અહીંયા, 

આટલું કહી રાઘા ભગત તો ત્યાંથી ચાલતા થયા પણ દેરી ની અંદર બેઠેલી માં મેલડી એની સામે ટગર ટગર જોઈ રહી કે "રાઘલા , દુનિયાની માલીપા મારુ કોઈ નથી ને, પણ એકવાર તને જો મારો ના બનાવું તો હું મેલડી નહિ બાપ, "

પછી તો કહેવાય છે કે મેઘલી અંધારી રાતનો 12-1 નો ટકોરો થયો, અને ત્યાં તો ધૂળના ધડિમલામાંથી સળી ગયેલા નારિયેળ માંથી નનામી બાળકી એવી માં મેલડી સવા વેતની નાગણી બની, અને ગુંજાર ની ઉભી બજારમાંથી પસાર થાય છે, પાવલી જેવડી માં મેલડી ફેણ માંડીને ,જીબના લબકારા કરતી કરતી માં મેલડી મોટાભાઈ  ભરવાડના ચોકની અંદર આવે છે, અને જે તૂટેલ ફાટેલ ખાટલાની અંદર રાઘા ભગત સુતા હતા એ ખાટલાના પાયેથી માં મેલડી ચડી અને ઓશીકે જઈને નાની એવી બાળકીનું રૂપ લઇ રાઘા ભગતના કપાળે માં મેલડીએ હાથ મુક્યો, 

રાઘા ભગત તો ગાઢ નિંદ્રા માં સુઈ ગયેલો પણ માં મલડીએ કપાળે હાથ ફેરવીને એટલું કહ્યું કે "રાઘલા, મને મેલડીને ટકોરો મારી ગ્યો છો ને ,તું કહે છે કે 60-60 ઘરનો ટીંબો છે ને તું અહીં એકલી વાડા માં રખડે, પણ વાઘલા દુનિયાની માલીપા એક વાર તારા આંગણે દોઢિયા ત્રિશુલ ના ખોળું ને તો તો રાઘલા હું બારિયાની મેલડી નહિ બાપ,"  

એટલું કહી માં મેલડી ઝડપભેર વીજળી વેગે પાછી વાડામાં જઈને સળી ગયેલા નારિયેળમાં સમાઈ ગયી, 

થોડાક દિવસો પસાર થાય છે, અને રાઘા ભગતની પત્ની થોડા મંદ બુદ્ધિના હતા એટલે ઘરમાં કકળાટ થતા  રાઘા ભગતે તેમની પત્નીને નેસડા માંથી જાકારો આપી દીધો, આમ તેમની પત્ની પિયરે રિસામણે ચાલ્યા ગ્યા અને અહીંયા રાઘા ભગત એકલા ગાયો ચારે અને દિવસો પસાર કરે, પણ રાત પડેને રોજ માં મેલડી સપનામાં આવે,  આવું આઠેક દિવસ ચાલ્યું પછી રાઘા ભગત વિચાર કરે છે કે હવે મારી પત્ની તો અહીંયા નથી રહી ,તો ખાલી ઘર રાખીને મારે શું કરવું ,એમ વિચારી પોતાના ભત્રીજા ગેલા ભાઈને પોતાનું મકાન વેચાતું આપવાનું નક્કી કરે છે, ગેલા ભાઈ બોલ્યા કે બાપા ખાલી પંદરેક દિવસની મને મુદત આપો પછી હું તમારું ઘર વેચાતું લઇ લઈશ, પછી તો માં મેલડી રોજ સપનામાં આવીને રાઘા ભગતને કહેવા લાગી કે હે રાઘલા તારે મને મેલડીને જોવી હોય તો એક વાર તારા નેસડામાં મને માં મેલડીને બોલાવતો ખરો બાપ, 

પરંતુ રાઘા ભગતે સપનાને ધ્યાન માં ના લીધું, પણ એક દિવસ તો માં મેલડીએ ટાપલી મારીને એટલું કહ્યું કે "એય ઉભો થા રાઘલા" ત્યાંતો રાઘા ભગત ઉભો થઇ ગયો, પછી તો સવારે પોતાના નેસડા માં રહેતા કાળા આપા માં આદ્યશક્તિના બાનાધારી ભુવા હતા એમને જઈને કહ્યું કે "હે આપા, મને રોજ સપનાની અંદર માથે ચૂંદડી ઓઢીને એક નાનકડી દીકરી આવે છે, મને શાંતિથી સુવા પણ નથી દેતી, દરરોજ રાત્રે મને ટાપલી મારીને જગાડે "   

પછી તો કાળા આપાએ ડોકમાંથી માળા કાઢી અને ત્રણ અગરબત્તી કરીને આદ્યશક્તિનું નામ લઇ ડોઢ જાર લીધીને ત્યાંતો માળાના મોતીમાંથી મારી આદ્યશક્તિ કહે છે કે હે મારા કાળા, મારુ શું કામ પડ્યું બોલ,

ત્યારે કાળા આપાએ માતાજીને પૂછ્યું કે આ રાઘા ભગતને સપનામાં એક દીકરી આવે છે અને એને સુવા નથી દેતી ,એનું શું કારણ હશે માંડી, 

ત્યારે આદ્યશક્તિ બોલ્યા કે હું કહું એમ મારી વસ્તી કરશો?, તો કે હા , 

તો જા કાળા અહીંથી જઈને ગામમાં એક અવાવરા વાડામાં જે મેલડી છે ને ત્યાં જઈને એના ઓટલે એક નારિયેળ અડાડી ,અને નારિયેળ ને લાવી રાઘા ભગતના મકાનના નેવે બાંધી દેજે , જો આજે તું નારિયેળને નેવે બાંધી દે તો એમ માનજે કે એ મેલડીને નેવે બાંધી છે, અને પછી જો એ મારા રાઘલા ના સપનામાં આવેને તો તો હું તારી આદ્યશક્તિ નહિ,  

પછી તો કાળા આપા માં આદ્યશક્તિ એ કહ્યા પ્રમાણે વાડા માં જઈને માં મેલડી ના ઓટલે નારિયેળ અડાડી રાઘા ભગતના મકાનનાં નેવે બાંધી દે છે, 

બરાબર એવા દિવસોમાં નેસડામાં એવું બન્યું કે એ સમયે ત્યાં લીંબડી સ્ટેટ નો હુકમ ચાલતો હતો એટલે નેસડાના પાંચેક માલધારી જુવાનિયા કોઈ કારણસર વાંકમાં આવે છે અને એમને કારાગૃહ માં પુરી દે છે, આ જોઈને નેસડાની વસ્તી કાળાઆપાને પૂછવા લાગી કે તમે આ મેલડીનું એક નારિયેળ  અહીંયા બાંધ્યું ત્યાંતો અમારા ફળિયામાંથી પાંચ જુવાનિયાઓને કારાગૃહ ની સજા થઇ, આપા આ તમારી રજા, તમારો હુકમ અને માતા શક્તિ બોલીતી તો આ શું થયું ફળિયામાં?

ત્યારે કાળા આપા, રાઘા ભગત અને ગેલા ભાઈ આદ્યશક્તિને અરજ કરતા કહે છે કે માંડી તું બોલીતી કે મેલડીનું નારિયેળ બાંધવાથી રાઘા ભગતના સપને દીકરી નહિ આવે, માંડી સપનું તો બંધ થઇ ગ્યું ,પણ અમારા ફળિયામાંથી પાંચ જુવાનિયાઓને કારાગૃહ ની સજા થઇ છે એનું શું કારણ? માંડી લીંબડી સ્ટેટે એમને ત્રણ દિવસની જ મુદત આપી છે, ત્રણ દિવસ પુરા થશે પછી તારા પાંચેય બાળકોને સજા થશે, 

અને કહેવાય છે કે ત્યારે રાતના એકના ટકોરે મારી આદ્યશક્તિ મેલડી બોલી કે હે બાઈ મેલડી, સાંભળ આજે મારી વસ્તી તને કાળી કરવા બેઠી છે, અને તારામાં જો તારાપણું હોયને તો મારી શક્તિની વસ્તી લીંબડીની જેલમાં પુરાણી છે, એને છોડાઈ આવ,

ત્યારે માં મેલડી નારિયેળની અંદરથી બોલી હતી કે કાળા ભુવા ,તારી શક્તિ ને કહે કે આજે મને મેલડી ને રજા આપે , જો લીંબડી ની જેલમાંથી તારા પાંચેય પાંચ ને જો નિર્દોષ ના છોડાઈ લાવું તો તો હું મેલડી નહિ બાપ..

પછી તો આદ્યશક્તિએ માં મેલડીને રજા આપી ત્યાંતો રાઘા ભગતના નેવે બાંધેલા નારિયેળમાંથી માં મેલડી સવા વેતની નાગણી બનીને આકાશી વેગે લીંબડી સ્ટેટ માં જાય છે, અને પાંચેયને નિર્દોષ છોડાવીને પાછી આવે છે, 

પછી તો ભોરૂડા ભરવાડો વાતને વિસરી જાય છે, અને પંદરેક દિવસ થયા એટલે રાઘા ભગત ગેલા ભાઈને મકાન વેચી દે છે, પણ મકાનના નેવે પેલું મેલડીનું નારિયેળ એમનેમ રહ્યું , એટલે માં મેલડી રાઘ ભગતના સપને આવીને એટલું બોલી કે રાઘલા તે મકાન વેચી દીધું, તો મને માં મેલડીને પણ વેચી નાખી બાપ, 

કોઈ ના કરે એવું મેલડી કરે, એટલે રાધા ભગતે કહ્યું કે મેલડી ખરેખર તું અહીં આવી હોયને તો મારી મંદ બુદ્ધિની બાઈતો રિસામણે જતી રહી છે, ભાઈઓના ઘરના રોટલા કેટલા દિવસ હું ખાઉં .

ત્યારે મેલડી બોલી કે "તો જા રાઘલા આજથી સાડા ત્રણ દિવસ થાય અને માથે હેલ સાથે જો બીજી બાઈ લાવી દઉં તો એમ માનજે હું બારૈયાની મેલડી બોલી હતી, 

અને કહેવાય છે કે એ વખતે હેલ સાથે બાઈ લાવેલા, 

પછી તો મેલડી બોલી કે રાઘલા તે મને નેવે ભલે રાખી પણ જો હવે ગેલા ના ડોકમાં મારા નામની માળા ના પહેરાવું તો હું બારૈયા ની મેલડી ના કહેવાઉં બાપ, 

આમ દિવસો પસાર થવા લાગ્યા અને એક દિવસ ગેલાભાઈ ના સપના માં આવીને માં મેલડીએ એટલું કહ્યું કે હે ગેલિયા, તે આ જે મકાન લીધું છે ને ,એને નેવે હું મેલડી છું, મને મેલડીને પુંજ,  એકવાર નેવેથી હેઠી ઉતારી મને મેલડીને તું ઉજડી કર, પછી દુનિયાની માલીપા તું જોઈ લે હું મેલડી તને શું ના આપું,

પછી કહેવાય છે કે કરવઠા પ્રમાણે એક દિવસ ગામલોકો ખોડિયારમાંના મંદિરે ફુલેરું દેવા જાય છે, ફુલેરું દઈને પાછા આવીને આદ્યશક્તિ ના મઢ માં જ્યાં ગામલોકો ઉભા રહ્યા ત્યાં તો મૈયાભાઈના કોઠે હાકલા પોકારા કરતી માં મેલડી ધુણવા આવે છે, 

કાળા આપા એ પૂછ્યું કે તું કોણ બોલે છે, એટલે માં મેલડી બોલી કે "હે ભુવા તારી શક્તિ ના બોલનો તોલ કરીને તે મને નેવે લટકાડી હતીને એ હું બારૈયાની મેલડી બોલું છું બાપ, હે ગેલિયા મને મેલડીને ગોખલો કરીને એક વાર ધડિમલે બેસાડ, અને તારી વગડે રખડતી વસ્તીને અમલદાર અને બોર્ડર ના સૈનિક ના બનવું તો હું મેલડી નહિ ," 

અને કહેવાય છે કે માં મેલડીની કૃપાથી ગેલા આપા ના દીકરા ગભા ભાઈ આર્મીના સૈનિક બન્યા, અને બીજા દીકરા રાહુલભાઈ કલેક્ટર થયા, અને ત્રીજા દીકરા મેહુલ ભાઈ ગામના તલાટી બની ગયા, 

આમ મેલડી કરે એવું કોઈ ના કરે અને માં મેલડી આપે એવુંય કોઈ ના આપે, પછી તો માં મેલડીનો નવરંગો માંડવો નાખે છે અને ડાકલા ના તાલે મૈયા ભાઈના ખોરીએ માં મેલડી સોળેય કળાયે રમવા આવે છે,   


      

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો,

  ચારોલ ગામનાં વિહત માં નો ઇતિહાસ , ઉડણસિંહ બજાણીયાને ગોપી પટેલની વીહતે આપેલો પરચો, નમસ્કાર મિત્રો ,આજે ,આપણે ચારોલ ગામની વીસ ભુજાળી માં વિ...